સુરતના ઐતિહાસિક ગોપીપુરા વિસ્તારને તેની અસલ ભવ્યતા પરત અપાવવા અને ‘ઊર્જા ભૂમિ’ના નિર્માણ અર્થે જૈન સમાજ દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉમટી પડેલા 15,000 થી વધુ શ્રાવક-શ્રાવિકાઓએ સંસ્કૃતિના જતન માટે આર્થિક ઉદારતા દાખવી.
કાર્યક્રમ દરમિયાન મહિલાઓમાં દાન આપવા માટે ભારે હોડ જામી હતી. અનેક શ્રાવિકાઓએ હસતા મુખે પોતાના ગળામાંથી સોનાના ચેન, હાથની બંગડીઓ, કાનની બુટ્ટીઓ અને આંગળીમાંથી હીરાની વીંટીઓ ઉતારીને દાનપાત્રમાં પધરાવી દીધી હતી. ધર્મ પ્રત્યેની અતૂટ શ્રદ્ધાના દર્શન ત્યારે થયા જ્યારે અનેક મહિલાઓએ અત્યંત પવિત્ર ગણાતા મંગળસૂત્ર પણ ‘ઊર્જા ભૂમિ’ના સંકલ્પ માટે અર્પણ કરી દીધા હતા. આ દ્રશ્યો જોઈ શ્રેષ્ઠીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
‘તળ સુરત’ની ઓળખ સમાન ગોપીપુરા વિસ્તાર 44 જૈન દેરાસરો ધરાવે છે. અમદાવાદ, વડોદરા અને સુરતના અગ્રણીઓના સહયોગથી આ વિસ્તારને આધ્યાત્મિક કેન્દ્ર તરીકે વિકસાવવાનું આયોજન છે. સહસ્ત્રફણા પાર્શ્વનાથ દાદાની પધરામણી અને નૃત્યોત્સવ સાથે આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ગોપીપુરાના જીર્ણોદ્ધારની સાથે ધાર્મિક શિક્ષણ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને વેગ આપવાનો છે.
કાર્યક્રમની શરૂઆત એક આકર્ષક રથયાત્રાથી થઈ હતી, જેમાં વિવિધ પાઠશાળાઓના 1500 થી વધુ બાળકો મનોહર વેશભૂષામાં સજ્જ થઈને જોડાયા હતા. આ દ્રશ્ય જૈન ધર્મના સંસ્કારોનું નવી પેઢીમાં સિંચન થતું હોવાની પ્રતીતિ કરાવતું હતું. બાળકોએ પણ પોતાના ગલ્લાની બચત આ ઉમદા કાર્ય માટે અર્પણ કરી વડીલોની સાથે ખભેખભા મિલાવ્યા હતા.
સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, “અમે દાનની અપેક્ષા રાખી હતી, પણ આ રીતે સોનાના દાગીનાનો વરસાદ થશે તેવી કલ્પના નહોતી. મહિલાઓએ જે રીતે લાઈનો લગાવીને પોતાના ઘરેણાં આપ્યા છે તે સુરતના જૈન સમાજની ઉદારતા અને ધર્મ પ્રત્યેના સમર્પણને દર્શાવે છે. આ દાનનો ઉપયોગ ગોપીપુરાના જીર્ણોદ્ધાર, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વેગ અને ધાર્મિક શિક્ષણ માટે કરવામાં આવશે. આ પ્રસંગે દરેક ભક્તને અપીલ કરવામાં આવી છે કે તેઓ ગોપીપુરાની પવિત્રતાનો અનુભવ કરવા એકવાર ચોક્કસ મુલાકાત લે.